કોઈક અકળ કારણસર આપણો પિતૃપ્રેમ એટલો બોલકો નથી. કહેવતો અને
રૃઢિપ્રયોગોના લોકાચારમાં બાપને ભાગ્યે જ સ્થાન મળ્યું છે. મા એ મા જ રહે
છે અને બીજા વગડાના વા ગણાય છે, પરંતુ બાપની સરખામણીએ બીજા સંબંધો વગડાના
સાપ નથી ગણાતા. સમાજની રૃઢિને ઘોડીએ ચડતો બાપ મરે એનો વાંધો નથી, પરંતુ
દળણાં દળતી મા ન મરવી જોઈએ. અફકોર્સ ન જ મરવી જોઈએ, પરંતુ બાપ મરે તેનો
કશો વાંધો નહિ?
કુરુક્ષેત્રના મેદાનમાં અઢાર અક્ષૌહિણી સેના આયુધો ખખડાવી રહી છે ત્યારે
દૂર હસ્તિનાપુરમાં રાજમહેલની અટારી પર બેઠેલો ધૃતરાષ્ટ્ર દૂરદૃષ્ટિનું
વરદાન ધરાવતા અંગત સચિવ સંજયને પૂછે છે,
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ
મામકાઃ પાન્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય
...અને આ શ્લોક સાથે ભગવદ્ગીતાનો આરંભ થાય છે, જેમાં ઉપનિષદોનું દોહન અને
ભારતીય તત્ત્વચિંતનનો અર્ક હોવાનું કહેવાય છે એ શ્લોકમાં સહજ રીતે એક
બાપનું હૃદય પણ, મામકાઃ સ્વરૃપે વ્યક્ત થઈ જાય છે. અંધ ધૃતરાષ્ટ્ર
દુર્યોધન પ્રત્યેના તેના વાત્સલ્ય માટે પણ એટલો જ આંધળો ગણાય છે. તેણે
પોતાનાં સંતાનોનાં હિત માટે પાંડવોને અન્યાય કર્યો, પુત્રમોહવશ થઈને તેણે
દુર્યોધનનાં દુષ્કૃત્યોને છાવર્યાં અને સરવાળે આખું મહાભારત ઊભું
કર્યાનું આળ ધૃતરાષ્ટ્ર પર સહસ્ત્રો વર્ષોથી મુકાતું રહ્યું છે. વિખ્યાત
નાટયકાર બાદલ સરકારના નાટકનો ધૃતરાષ્ટ્ર આક્રોશભેર પૂછે છે, ‘હું મારાં
સંતાનોને ચાહુ એ મારો વાંક છે?’ સાહિત્યની પરિભાષામાં ધૃતરાષ્ટ્ર એક
સંકુલ પાત્ર (કોમ્પ્લેક્સ્ડ કેરેક્ટર) છે, પરંતુ ખરેખર તો આપણો સમાજ પોતે
પણ ઓછો કોમ્પ્લેક્સ્ડ નથી. ધૃતરાષ્ટ્ર પોતાનાં સંતાનોને અનહદ ચાહે છે અને
તેમની આંધળી તરફદારી કરે છે માટે બદનામ છે. મહાત્મા ગાંધી પોતાનાં
સંતાનોની સ્હેજ પણ તરફદારી ન થઈ જાય તેની તલવારની ધાર જેવી તીક્ષ્ણ દરકાર
રાખે છે માટે બદનામ છે. આ બે અંતિમ વચ્ચે સમાજની તાસિર અને બાપ નામની
વ્યક્તિની તસવીર પ્રકટ થતી રહે છે.
માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ નદીના બે એવા કાંઠા છે જેની વચ્ચેથી
હરેકની જિંદગી વહેતી રહી છે. અને તેમ છતાંય દિલ પર હાથ મૂકીને કહેવું પડે
કે હરેકનો એક કાંઠા પ્રત્યેનો ઝુકાવ જરાક વધારે હોય છે. પિતા જ્યારે
યુવાન હોય છે ત્યારે આકરી મહેનત કરતો રહે છે. રોજ સવારે સ્મિત સાથે એ
ઘરેથી નીકળે છે અને સાંજ પડયેય એ સ્મિત બરકરાર રાખે છે-આવતીકાલની ઉજળી
આશા માટે. એ પ્રૌઢ થાય એ પહેલાં તેના કપાળ પર ત્રણ રેખા અંકિત થવા લાગે
છે, આંખોની નીચે કાળાં કુંડાળાં વહેલાં પડે છે અને મૂછના વાળમાં સફેદી
છવાવા લાગે છે છતાંય સાંજ પડયે ઘરે પાછા ફરતા ચહેરા પરનું સ્મિત એવું ને
એવું જ રહે છે, કારણ કે સંતાનો હજુ કોલેજમાં પ્રવેશી રહ્યાં છે. હજુ તો
ઘણી મજલ કાપવાની છે. માતાના વાત્સલ્યનાં ગુણગાન આપણે બે મોઢે ગાતા રહીએ
છીએ, પરંતુ કોઈક અકળ કારણસર આપણો પિતૃપ્રેમ એટલો બોલકો નથી. કહેવતો અને
રૃઢિપ્રયોગોના લોકાચારમાં બાપને ભાગ્યે જ સ્થાન મળ્યું છે. મા એ મા જ રહે
છે અને બીજા વગડાના વા ગણાય છે, પરંતુ બાપની સરખામણીએ બીજા સંબંધો વગડાના
સાપ નથી ગણાતા. સમાજની રૃઢિને ઘોડીએ ચડતો બાપ મરે એનો વાંધો નથી, પરંતુ
દળણાં દળતી મા ન મરવી જોઈએ. અફકોર્સ ન જ મરવી જોઈએ, પરંતુ બાપ મરે તેનો
કશો વાંધો નહિ? મા વાત્સલ્યનું પ્રતીક છે તો બાપનો પ્રેમ પણ કોઈ રીતે ઉણો
આંકી શકાય ખરો? થોડા દિવસ પહેલાં માણેકચોકના રાત્રિબજારમાં જોયેલું એક
દૃશ્ય. રજાના દિવસે મોડી રાત્રે ખાણી-પીણીની હોટેલો પાસે એકઠા થયેલા
જમેલા વચ્ચે એક માણસ રમકડાં વેચી રહ્યો છે. રમકડાની કિંમત છે મહઝ દસ
રૃપિયા. દુકાનદારોના હડદોલા અને લોકોના ધુત્કારને ચૂપચાપ સહેતો એ સતત
ફરતો રહે છે. આખરે એક રમકડું વેચાય છે. દસની નોટ હાથમાં આવે એ સાથે તેના
ચહેરા પર ફરકતી ખુશાલી અમે દૂર બેસીનેય અનુભવીએ છીએ. એ દબાતા પગલે એક
ખૂમચાવાળા પાસેથી ભેળની પ્લેટ ખરીદે છે. દૂર એક ઓટલા પાસે તે જાય
છે-જ્યાં તેની પત્ની અને એક બાળક તેની રાહ જોઈને બેઠાં છે. અને વિજયી
સ્મિત સાથે એ ભેળની પ્લેટ ધરે છે. પત્ની અને બાળકની આંખોમાં પરમ અહોભાવ
છે અને એ પુરુષની આંખોમાં છે પરમ સંતૃપ્તિ. વેલ, એ બાપ મરે એ પાલવશે?
પરિવારમાં આખરે બાપની કેવી ભૂમિકા અપેક્ષિત છે? દિવસ આખો એ વૈતરું કરે
છે,કારણ કે તેના ઘરની સુખાકારી તેના પર અવલંબે છે. અણગમતી જગ્યાએ,
અણગમતાં કામો વચ્ચે અપમાનો સહીનેય એ નોકરી કરતો રહે છે,કારણ કે તેણે
સંતાનોને સારું ભવિષ્ય ઘડી આપવાનું છે. એસટીની બસના બે રૃપિયા બચાવવા
માટે હકડેઠઠ ભરેલી છકડો રીક્ષામાં એ પગના અંગૂઠાના જોરે ઊભો રહે છે,કારણ
કે કોલેજમાં ભણતા દીકરા માટે તેને બાઈક ખરીદવું છે. બહારની વિપદાને એ કદી
ઘરમાં નથી લાવતો. ઓફિસની લાચારીને એ કાયમ ઘરના દરવાજાની બહાર લૂછીને જ
ઘરમાં પગ મૂકે છે, કારણ કે તેણે વગર કહ્યે અને વગર પૂછયે સંતાનો માટે એક
ઉદાહરણ પૂરું પાડવાનું છે. અને બદલામાં એ કશું જ માંગતો નથી. ના, પોતાના
માટે એક કહેવત પણ નહિ. એક રૃઢિપ્રયોગ પણ નહિ! કારણ કે એ એક બાપ છે-ચટ્ટાન
જેવો અડીખમ અને એટલો જ ઋજુ. પરિવારની સુખાકારી માટે એ કશાની તમા નથી
રાખતો. કહેવતની પણ નહીં, રૃઢિપ્રયોગની પણ નહીં અને સમાજની પણ નહીં
Brain Treaser By Vishvam
Brain Teasers!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment